ખંભાળિયાના લાલુકા ગામે હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે તાજેતરમાં નવનિર્મિત શ્રી હનુમાનજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. રવિવાર તારીખ 1 થી મંગળવાર તારીખ 3 ના સુધી યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રવિવારે આ સ્થળે અહીંના જાણીતા બાલનાથ ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આજરોજ સોમવારે રાત્રે રામધુન તથા આવતીકાલે મંગળવારે સવારે પાંચ વાગ્યે બજાણાની પ્રખ્યાત કીર્તન મંડળીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જાણીતા શાસ્ત્રી કાંતિલાલ ભોગાયતા (દ્વારકાવાળા) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ સ્થળે પ્રભુ પ્રસાદી સહિતના કાર્યક્રમોનો લાભ લેવા સમસ્ત લાલુકા ગામ દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.