જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા નાનજીભાઈ છગનભાઈ શ્રીમાળી નામના 39 વર્ષના યુવાનને સુરજકરાડીના રહીશ રાહુલ ધનાભાઈ રોશિયા તથા મોંઘીબેન ધનાભાઈ રોશિયા દ્વારા ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી નાનજીભાઈએ થોડા સમય પૂર્વે સ્ટેટ વિજિલન્સ સેલ – ગાંધીનગરમાં આરોપીઓ ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરતા હોવા અંગેની લેખિત ફરિયાદ કરી હોવાથી વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ખાર રાખી, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પીસી. કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.