દ્વારકા અને ખંભાળિયામાં પ્રોજેક્ટ તુષ્ટિ મારફત આંગણવાડીના લાભાર્થીઓને પોષણ વાટિકાનું વિતરણ કરાયું

સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી આયોજન

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ તુષ્ટિ મારફત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી આંગણવાડીના લાભાર્થીઓને પોષણ વાટિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકામાં ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ઈન્ડિયા ફાઉન્ડેશન, દિલ્હી) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ અને એનિમિયા મુક્ત કરવા તથા લોકોના જીવન ધોરણને ઉંચુ લાવવાના પ્રયાસ રૂપે નયારા એનર્જીના સંકલનથી ગત વર્ષે પોષણ વાટિકાનું જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે સફળ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગના સહયોગથી આંગણવાડી પર તથા લાભાર્થીઓને આંગણે પોષણ વાટિકા ભાગ -2માં બીજી એક હજાર કિટનુ વાવેતર તથા વિતરણ કરવામાં આવ્યું હતું.

ખંભાળિયામાં તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી પ્રજ્ઞાબેન રાવલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્રો, બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓના આંગણે પોષણ વાટિકાનું વિતરણ તથા વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ બિયારણ, વૃધ્ધિ માટેની ઓર્ગેનિક દવા, માહિતી પુસ્તિકા તથા વાનગી પુસ્તિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.