ખંભાળિયા પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ

રમતા રમતા ગળામાં ચુંદડી વીંટળાઈ જતા દસ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે વાડી વિસ્તારના રહેતા રીટાબેન કાંતિભાઈ કછડીયાનો દસ વર્ષીય પુત્ર અંકીત ગત તારીખ 1 ના રોજ પોતાના ઘરે રમતો હતો, ત્યારે આ મકાનમાં રહેલી કપડા સુકવવાની દોરી ઉપર બાંધેલી ચુંદડી નજીક પહોંચતા રમતા રમતા આ ચુંદડી અંકિતના ગળામાં વીંટળાઈ ગઈ હતી. જેના કારણે તેને ગળાફાંસો લાગી જતા આ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.

આ બનાવની જાણ રીટાબેન કછડીયાએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

અન્ય એક બનાવમાં ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર હરિલાલભાઈ જોશી નામના 55 બ્રાહ્મણ આધેડની 22 વર્ષીય અપરિણીત પુત્રી હેમાંગી કે જેની સગાઇ થઇ ચુકી હતી, તેણીને ભાવિ પતિ સાથે કોઈ બાબતે મનદુઃખ બાદ ઝઘડો થતાં આ બનાવથી વ્યથિત થયેલી હેમાંગી જોશીએ ગત તારીખ 6 ના રોજ પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ મૃતકના પિતા ધર્મેન્દ્રભાઈ હરિલાલ જોશીએ અહીંની પોલીસને કરી છે.

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા જેસાભાઈ આલાભાઈ કદાવલાના ધર્મપત્ની કડવીબેનએ શનિવારે બપોરના સમયે કોઈ અકળ કારણોસર પોતાને હાથે ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

આ બનાવ અંગે જેસાભાઈ કદાવલાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.