ખંભાળિયા રેલવે સ્ટેશન પર રૂ. 4.34 કરોડના ખર્ચે મુસાફરોની સુવિધાના વિવિધ કામો અને સબવેનું ઉદ્ઘાટન

 

સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદ્ઘાટન થયું

જામ ખંભાળિયા : ખંભાળિયા રેલ્વે સ્ટેશન ખાતે ગઈકાલે આયોજિત ઉદ્ઘાટન કાર્યક્રમમાં રૂ. 4.34 કરોડની કિંમતની વિભિન્ન યાત્રી સુવિધાઓના કાર્યો તથા માર્યાદિત ઊંચાઈવાળા સબવેનું ઉદ્ઘાટન અહીંના સંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ખંભાળિયાના રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ મંડળ રેલ પ્રબંધક અનિલકુમાર જૈને હાલારના સાંસદ પૂનમબેન માડમનું સ્વાગત કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 2 પર નવનિર્મિત પેસેન્જર લિફ્ટ, પ્લેટફોર્મ નં. 1 પર નવનિર્મિત કવર શેડ, પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર નવનિર્મિત 6 પાણીના ફુવારા અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નં. 234 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત તમામ પેસેન્જર સુવિધાઓ અને સબવેના બાંધકામની કુલ કિંમત આશરે રૂ. 4.34 કરોડ સુધીની છે. જેમાં પેસેન્જર લિફ્ટની કિંમત રૂ. 59.33 લાખ, કવર શેડની કિંમત રૂ. 23.20 લાખ, 6 વોટર ફાઉન્ટેનની કિંમત રૂ. 48,000/- અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નંબર 234ની કિંમત રૂ. 3.51 કરોડ સામેલ છે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ ખંભાળિયા રેલ્વે સ્ટેશન પર કવર શેડ અને પાણીના ફુવારા ની સુવિધા મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખંભાળિયા યાર્ડ ખાતે નવનિર્મિત લિમિટેડ હાઇટ સબવે નં. 234ના નિર્માણથી સામાન્ય જનતાને વારંવાર ફાટક બંધ થવાના કારણે માર્ગ બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.

આ પ્રસંગે ખંભાળિયા શહેરની વિભિન્ન સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા સાંસદનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ડીઆરએમ જૈને તેમના ઉદ્દબોધનમાં સંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા રેલ્વે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. અંતમાં, સિનિયર મંડળ વાણિજ્ય પ્રબંધક, અભિનવ જેફે સાંસદનો કાર્યક્રમમાં તેમની મહાન હાજરી બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું

આ સમારોહમાં ખંભાળિયાના અનેક પ્રતિષ્ઠિત આગેવાનો સહિત રાજકોટ મંડળના સિનિયર મંડળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અર્જુન શ્રોફ, સિનિયરમંડળ સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર એચ.એસ. આર્ય, સિનિયર મંડળ એન્જિનિયર (પશ્ચિમ) નરેન્દ્રસિંહ સહિત ખંભાળિયાના અનેક પ્રતિષ્ઠિત આગેવાનો, રેલવેના વિવિધ મંડળોના વરિષ્ઠ અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.