તીર્થનગરી દ્વારકામાં આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે પ્રવાસીઓની ભીડ ઉમટી

દ્વારકા : દર માસની પૂનમની તિથિનું ધાર્મિક મહત્વ રહેલું છે. ત્યારે તીર્થનગરી દ્વારકામાં આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે પ્રવાસીઓની ભીડ ઉમટી છે.

આજે ગુજરાતી માસ વૈશાખની પૂર્ણિમાના પવિત્ર દિવસે દેવભૂમિ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. દ્વારકામાં જગતમંદિર, ગોમતી ઘાટ તેમજ સુદામા સેતુ સહિતના માર્ગો પર પ્રવાસીઓની ભીડ જામી છે. આજે પૂનમ હોય, ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ જગતમંદિરમાં કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોએ લાઈનો લગાવી છે. દ્વારકામાં લોકોની ભીડ ઉભરાતા વેપાર વધવાની આશા હોવાથી દ્વારકાના ધંધાર્થીઓ માટે પણ આજનો દિવસ મહત્વનો છે.