પત્નિના નિધન બાદ પતિએ પણ પકડી અનંતની વાટ: ખંભાળિયાનો બનાવ

જામ ખંભાળિયા : ખંભાળિયાના એક રઘુવંશી મહિલાનું બે દિવસ પૂર્વે અવસાન થયા બાદ આજરોજ તેમના પતિએ પણ પત્નિના પગલે અનંતની વાટ પકડી છે.

ખંભાળિયાના રઘુવંશી સમાજમાં કરુણતાભર્યા આ બનાવની વિગત મુજબ ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા લોહાણા સદગૃહસ્થ સ્વ. રાઘવજીભાઈ ઓધવજીભાઈ બથીયાના પુત્રવધુ ઈન્દુબેન મોહનલાલ બથીયા (ઉ.વ. 75) બુધવાર તા. 18 મી ના રોજ હૃદયરોગની બીમારી બાદ અવસાન પામ્યા છે. ગઈકાલે ગુરૂવારે તેમની પ્રાર્થનાસભા બાદ આજરોજ શુક્રવારે સાંજે ઈન્દુબેનના પતિ મોહનલાલ બથીયાનું પણ નિધન થયું છે.

આમ, બે દિવસના સમયગાળામાં પત્નિ બાદ પતિએ પણ સાથ નિભાવવા માટે અનંતનીવાટ પકડતાં આ બનાવે ખંભાળિયા શહેર સાથે સમગ્ર રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.