ખંભાળિયા પંથકમાં જેટકોની કામગીરીમાં અડચણ કરી, નુકસાની કરવા સબબ ભીંડાના શખ્સ સામે ગુનો

બે માસ દરમિયાન રૂ. પાંચ લાખનું નુકસાન કર્યાનું જાહેર

જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં જેટકોની ચાલી રહેલી કામગીરીમાં ભીંડા ગામના એક શખ્સ દ્વારા અડચણ પેદા કરી, કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવા તેમજ કંપનીને રૂપિયા પાંચ લાખનું નુકસાન કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની ખંભાળિયાના પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભીંડા ગામ વિસ્તારમાં ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત 400 કે.વી. ડી.સી. વિજ લાઈનનું નિર્માણ કરવા માટેનું કામ એલ એન્ડ ટી કંપનીને મળ્યું હોય, આ માટે વીજ લાઈનના તાર ખંભાળિયા તાલુકાના ભીંડા ગામની સર્વે નંબર 628 વારી જગ્યામાંથી પસાર થતા હોવાથી આ વિસ્તારના રહીશ દેવાણંદ રાજશી બંધીયા નામના શખ્સ દ્વારા તેને સરકારના ધારાધોરણ મુજબના મળવાપાત્ર વળતરને સ્વીકારવાની ના કહી, જેટકો કંપનીના સ્ટાફ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે હાથ ધરવામાં આવેલી વીજ લાઇનની કામગીરીના સ્થળે આવી અને દેવાણંદ રાજશી બંધીયા દ્વારા બળજબરીપૂર્વક લાઈનનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, આ સ્થળે ફરજ પર રહેલા કંપની કર્મચારી એવા જામનગર રહેતા કૌશિકભાઈ બીધુશેખર ભટ્ટચાર્ય (ઉ.વ. 50) તેમજ અન્ય કર્મચારીઓ-સ્ટાફને બિભત્સ ગાળો કાઢી અને કંપની પાસેથી વધુ રકમનું વળતર પડાવવાના ઇરાદાથી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત આ કામગીરી દરમિયાન પોલીસ અને જેટકો કંપનીના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને જિલ્લા કલેકટરના હુકમનો અનાદર કરી, કંપનીના આ કામમાં છેલ્લા બે માસથી અડચણ પેદા કરીને કંપનીને આશરે રૂપિયા પાંચ લાખનું નુકસાન કરવા સબબ કૌશિકભાઈ ભટ્ટચાર્ય દ્વારા ભીંડા ગામના દેવાણંદ રાજશી બંધીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 385, 186, 188, 504, 506(2) તથા ઇલેક્ટ્રિકસીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.