દ્વારકામાં આયુષ્‍યમાન કાર્ડ યોજના હેઠળ 5092 લાભાર્થીઓને રૂા.14.65 કરોડની સહાય ચુકવાઇ

જામ ખંભાળિયા : દેશના તમામ લોકોને આરોગ્ય અને સારવાર મળી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલી કરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં દેશમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. દેશમાં સામાજિક, આર્થિક અને જાતી આધારિત સર્વેક્ષણ અંતર્ગત નોંધાયેલા ગ્રામ્ય અને શહેરી વિભાગના નાગરિકોને આ લાભ મળે છે.

જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં 8737 કુટુંબોને જોડવામાં આવ્‍યા છે. તેમજ આયુષ્‍યમાન કાર્ડ હેઠળ અત્‍યાર સુધીમાં 5092 ક્લેઇમ થયા છે. જેમાં સરકાર દ્વારા રૂા. 14.65 કરોડની સહાય મંજુર કરવામાં આવી છે. આ રકમ સારવાર ખર્ચ પેટે ચુકવી ગરીબ પરિવારોને બિમારીનો આર્થિક બોજ ન થાય તે માટે કામગીરી કરવામાં આવી છે.

ભારત સરકારની આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીઓની સારવાર કરવામાં આવે છે. આ કાર્ડના લાભાર્થીઓને હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ સહિતની સેવાઓને આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત યોજનાના લાભાર્થીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવવા જવાના ભાડા પેટે રૂ. 300 આપવામાં આવે છે.

આ ઉપરાંત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન મિત્રની પણ નિમણુંક કરવામાં આવી છે. જે દર્દીના દાખલ થવાથી ડિસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. આયુષ્યમાન ભારતમાં તમામ પ્રકારની સર્જરી અને તપાસનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કે જે આયુષ્યમાન કાર્ડ કઢાવવા ઈચ્છે છે, તેઓ આ કાર્ડ આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો, પીએચસી અને સીએચસી સેન્ટર ખાતેથી કાર્ડ કઢાવી શકાય છે.