ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ ખાતે તા. 26મીએ ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે

કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્થિત રહેશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ 26 મી ફેબ્રુઆરીના રોજ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્‍યક્ષ સ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે. જે અંતર્ગત આજરોજ મંગળવારે ખંભાળિયામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીંના જિલ્લા કલેકટરએ બેઠકમાં લગત અધિકારીઓને લાભાર્થીઓની યાદી તૈયાર કરવા, લાવવા-લઇ જવાની વ્‍યવસ્‍થા, ફુડ પેકેટ, સ્‍ટેજ પરના લાભાર્થી, કીટની વ્‍યવસ્‍થા વિગેરે બાબતે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, ડી.વાય.એસ.પી. ચૌધરી, ડી.આર.ડી.એ.ના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી શ્રીવાસ્‍તવ, અહીંના પ્રાંત અધિકારી, સહિત જિલ્‍લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.