રાવલ નજીક ત્રિપલ સવારી મોટરસાયકલની ટક્કર : યુવાન તથા બાળકના મોત

મહિલા સહિત ચાર ઘવાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા યુવાન તથા એક બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજયુ હતું જ્યારે અન્ય ચાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજુભાઈ લખમણભાઈ બારીયા નામના આશરે 25 વર્ષના યુવાન તેમના મોટાભાઈ રણજીતભાઈ તથા ભાભી ટમુબેન બારીયાને સાથે લઈને તેમના જી.જે. 10 બી.કે. 4902 નંબરના મોટરસાયકલ પર ત્રિપલ સવારીમાં ગઈકાલે રાત્રે તેમના બારીયાધાર ખાતે રહેતા દાદીમાં રાણીબેન ગંધાભાઈ બારીયાના ઘરે ગયા હતા. રાત્રીના આશરે સાડા દસ વાગ્યે તેઓ ત્રિપલ સવારીમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે રાવલ નજીક આવેલા જુજારીયા નદીના પુલ પાસે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા જી.જે. 10 એ.કે. 1164 નંબરના મોટરસાયકલ ચાલકે તેમની સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈ બારીયાને લોહીલુહાણ હાલતમાં રાવલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં સાથે જઇ રહેલા રણજીતભાઈ તથા ટમુબેનને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને વધુ સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કલ્યાણપુર પોલીસે મૃતકના મોટાભાઈને રાહુલભાઈ લખમણભાઈ બારીયા (ઉ.વ. 27) ની ફરિયાદ પરથી જી.જે. 10 એ.કે. 1164 નંબરના મોટરસાયકલ ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(એ), 337, 338 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરી છે.

આ અકસ્માતમાં સામેથી આવી રહેલ મોટરસાયકલમાં જઈ રહેલા 11 વર્ષના રોહિત દેવાભાઈ જમોડ નામના બાળકને પણ ગંભીર ઇજાઓ થતાં તેનું પણ મૃત્યુ નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેની સાથે વિજય રામાભાઈ તથા વિરમ મશરીભાઈ નામના અન્ય મોટરસાયકલ સવારને પણ ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના આ બનાવે નાના એવા રાવલ ગામમાં શોક સાથે ભારે અરેરાટી પ્રસરાવી છે.