ખંભાળિયા : ગરીબ કલ્યાણ મેળામાં 25 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 80 લાખથી વધુની સાધન-સહાયનું વિતરણ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ શનિવારે સવારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લાકક્ષાના આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં જિલ્લાના 25 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની રૂા. 80 લાખથી વધુના સાધન-સહાયના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. જેના પ્રતિકાત્મક રૂપે સ્ટેજ ઉપરથી 35 લાભાર્થીઓને સાધન-સહાય વિતરીત કરવામાં આવી હતી.

“ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર સમાન અનેકવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સીધેસીધા પહોંચાડીને પારદર્શક વહીવટમાં ગરીબોની, વંચિતોની, શોષિતોની ચિંતા કરી તેઓને માન-સન્માન સાથે અનેક યોજનાકીય લાભો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે”- તેમ જણાવી ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈએ ઉમેર્યુ હતું કે, સમાજના અંતિમ અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડીને વિકાસથી કોઈ વંચિત રહી ન જાય તેવી નેમ તથા સેવાની સાધના, વિકાસની આરાધના ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સુરાજ્યના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેથી જ જાહેર બાંધકામ, વીજળી, પાણી, આવાસ સહિતના અનેક વિકાસલક્ષી કાર્યો સરકાર દ્વારા ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ-સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા સૌ સાથે મળી દેશની વિકાસ યાત્રામાં સહભાગી થઈએ.

આ પ્રસંગે અહીંના જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે “ગરીબો સ્વાભિમાનથી જીવે અને સ્વાવલંબી બને અને એક જ સ્થળેથી તેમને વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયોજીત ગરીબ કલ્યાણ મેળોમાં 25 હજારથી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના રૂપિયા 80 લાખથી વધુ રકમના લાભો હાથો હાથ એનાયત કરવામાં આવ્યા છે”.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક તથા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્ટેજ ઉપરથી તેમજ જે-તે વિભાગના સ્ટોલ્સ ઉપરથી લાભાર્થીઓને લાભોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આરોગ્ય વિભાગને ફાળવેલ આર.બી.એસ.કે. વાનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની જૂદી-જૂદી કલ્યાણકારી યોજનાઓએ લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો અને સફળ ગાથા પણ રજૂ કરી હતી. આ ઉપરાંત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ ખેર, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ નગાભાઈ ગાધેર, જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.