ખંભાળિયાની સેવા સંસ્થા દ્વારા આવતીકાલે વસઈ ખાતે નિદાન કેમ્પનું આયોજન

માનવ સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે નેત્ર કેમ્પ તથા દંત કેમ્પ

ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે રવિવાર તારીખ 6 માર્ચના રોજ જામનગર નજીક આવેલા વસઈ ખાતે વિનામૂલ્યે નેત્ર કેમ્પ તથા દંત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લંડન સ્થિત રતનબેન ઝવેરચંદ કારા ફાઉન્ડેશન (હ. શ્રીમતી તારાબેન તથા અરવિંદભાઈ શાહ)ના આર્થિક સહયોગથી જામનગર નજીક આવેલા વસઈની પ્રાથમિક શાળા ખાતે આગામી રવિવારે સવારે નવથી સાડા બાર સુધી વિનામૂલ્યે યોજવામાં આવેલા આ નેત્ર કેમ્પ તેમજ દંત કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વસઈ ગ્રામ પંચાયતના સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણછોડભાઈ પરમાર, પંચાયતના ઉપપ્રમુખ આલાભાઈ રબારી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ગીતાબેન સાવલા, પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પિંગળ, તેમજ સામાજિક કાર્યકર હરીશભાઈ ખેતીયા ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટર વિવેકભાઈ પરમાર, દાંતના નિષ્ણાત ડોક્ટર ક્રિષ્નાબેન મોરજરીયા, જનરલ વિભાગમાં એકતાબેન મંડોરા તથા લેબોરેટરી વિભાગમાં રિમ્પલબેન બારાઈ સેવા આપશે. આંખના ઓપરેશન તથા દાંતમાં વિશેષ સારવાર જણાતા દર્દીઓને ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે જ ક્રમશઃ વિનામૂલ્યે ઓપરેશન કરી, નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે.

કેમ્પને સફળ બનાવવા માનવ સેવા સમિતિના સેક્રેટરી મનુભાઈ પાબારી, ટ્રેઝરર જગદીશભાઈ ચાવડા, નાથાલાલભાઈ બદીયાણી, વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ, તથા વસઈ પ્રાથમિક શાળા પરિવારના રાજભા જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પમાં દાતા શ્રીમતી તારાબેન શાહ તથા અરવિંદભાઈ શાહ ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો વસઈ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને વિશાળ પ્રમાણમાં લાભ લેવા માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.