ભાણવડમાં વૃદ્ધની નિર્મમ હત્યા નીપજાવનારા શખ્સ જેલ હવાલે

જામ ખંભાળિયા : ભાણવડમાં રહેતા એક નિવૃત વૃદ્ધની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. અને તેને જેલ હવાલે કરાયો છે.

ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા મનસુરભાઈ કાસમભાઈ કોટડીયાના 63 વર્ષના વૃદ્ધના મકાનને સસ્તા ભાવે મેળવી લેવાની ઇચ્છા ધરાવતા ભાણવડમાં દિવડી સોસાયટી ખાતે રહેતા સલીમ મનસૂરઅલી સમનાણી નામના એક યુવાને બે દિવસ પૂર્વે રાત્રિના સમયે છરીના ઘા ઝીંકી અને મનસુરભાઈની નિર્મમ હત્યા કરી હતી.

આ બનાવ સંદર્ભે તપાસનીશ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા આરોપી સલીમ સમનાણીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે હત્યાના સમયે ઉપયોગમાં લેવામાં આવેલું બાઈક, લોહીવાળા કપડાં, છરી સહિતનો મુદ્દામાલ કબજે કરી, આજરોજ સ્થાનિક કોર્ટમાં રજૂ કરતાં નામદાર અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જેથી તેને જામનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે

.