દ્વારકામાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 2,313 કેસો રજૂ કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ લોક અદાલત સંપન્ન થઇ ગઈ છે. જેમાં કુલ 2,313 કેસો રજૂ કરવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ- અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગત તારીખ 12 મી ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી, સમાધાન પાત્ર કેસીસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 ના મુજબના ચેક કેસીસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસીસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વિગેરેના કોર્ટમાં પેન્ડીંગ તથા પ્રી-લીટીગેશન કેસો મળીને એક જ દિવસમાં કુલ 2,313 કેસો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દાવાની રકમ રૂ. 12.03 કરોડ થાય છે, તેનો લોક અદાલતના માધ્યમ દ્વારા એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.