ગુરુવારે રાષ્ટ્રપતિના આગમનના પગલે દ્વારકાધીશ મંદિર વિસ્તાર પોલીસ કાફલો તૈનાત રહેશે

દ્વારકામાં રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલનું સંભવતઃ આગમન થશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં ગુરુવારે દેશના રાષ્ટ્રપતિનું આગમન થશે અને તેઓ દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવશે. ત્યારે સુરક્ષા તથા તૈયારીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે.

આગામી ગુરૂવાર તારીખ 24 માર્ચના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું હાલાર પંથકમાં આગમન થનાર છે. ગુરુવારે જામનગર જિલ્લામાં વિવિધ સામાજિક કાર્યક્રમો સાથે રાષ્ટ્રપતિ ગુરુવારે સવારે દ્વારકા પણ આવશે. જ્યાં ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવાર તારીખ 24 મીના રોજ દ્વારકા જિલ્લામાં આવનાર છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગુરુવારે સવારે રાષ્ટ્રપતિ હેલિકોપ્ટર મારફતે સવારે 11 વાગ્યે દ્વારકાના હેલીપેડ ખાતે ઉતરાણ કરશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશ મંદિર ખાતે જશે. અહીં તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને બપોરે બારેક વાગ્યે સંભવતઃ સર્કિટ હાઉસ ખાતે ભોજન તથા થોડો વિરામ લેનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ પુનઃ જામનગર તરફ પ્રયાણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ સાથે જોડાનાર હોવાનું કહેવાય છે. જો કે આ સમગ્ર આયોજન અંગે સત્તાવાર સમય તથા કાર્યક્રમ હજુ સુધી જાણવા મળેલ નથી.

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત

દેશના રાષ્ટ્રપતિ તથા સાથે સંભવત: ગુજરાતના રાજ્યપાલ ગુરુવારે સવારે 11 થી બપોરે ત્રણ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દ્વારકા પંથકમાં છે. ત્યારે આ માટેની તમામ સુરક્ષા વ્યવસ્થા તથા બંદોબસ્ત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા સ્ટાફ દ્વારા મજબૂત સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. આ માટે દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારોમાં પી.આઈ., પી.એસ.આઈ., સહિતનો પોલીસ સ્ટાફ તૈનાત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે દ્વારકા ખાતે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના અન્ય કોઈ મોટા કાર્યક્રમો નથી.