ખંભાળિયામાં શહીદ ભગતસિંહની પ્રતિમા મૂકવા માંગ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતની આઝાદી માટે નોંધપાત્ર લડત આપી શહીદ થનારા ભગતસિંહને હંમેશા આખો દેશ યાદ કરે છે. આના અનુસંધાને દર વર્ષે 23 માર્ચના રોજ શહીદ દિનની પણ મનાવવામાં આવે છે. નાની ઉંમરમાં શહીદી વહોરનારા શહીદ ભગતસિંહની એક પ્રતિમા ખંભાળિયામાં પણ મૂકવામાં આવે તેવી માંગણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ સુમિત મકવાણા દ્વારા ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને કરવામાં આવી છે.અહીંના ચાર રસ્તા, રેલવે સ્ટેશન અથવા નગર ગેઈટ પૈકી કોઈ પણ એક વિસ્તારમાં શહીદ ભગતસિંહની પ્રતિમા મૂકવા માટેની માંગ આ પત્રમાં કરવામાં આવી છે.