ખંભાળિયામાં રામનવમીની થશે ભવ્ય ઉજવણી

આયોજન સંદર્ભે આગેવાનોની મિટિંગ યોજાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રામનવમીની ભવ્ય ઉજવણી થશે. જેના આયોજન સંદર્ભે આગેવાનોની મિટિંગ યોજાઈ હતી.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મ જયંતીની દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં અદમ્ય ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખંભાળિયા પંથકમાં પણ રામનવમીના પવિત્ર દિને વિવિધ ધર્મમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આગામી તારીખ 10 મી એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન સંદર્ભે ગઈકાલે ગુરુવારે રાત્રે અત્રે મહાદેવ વાડામાં આવેલા પ્રેમભિક્ષુજી પરિવાર પ્રેરિત પ્રેમ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે એક મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ જયસુખભાઈ મોદી સાથે પ્રવીણસિંહ કંચવા, અનિલભાઈ તન્ના, ભમબાપુ, વનરાજસિંહ વાઢેર, ઈન્દ્રજીતસિંહ પરમાર, હસમુખ ધોળકિયા સહિતના આગેવાનો-કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામનવમીના આયોજન સંદર્ભે વિવિધ કાર્યક્રમો તથા તૈયારીઓના મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.