જામનગરના દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષકો દ્વારકાની મુલાકાતે

દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઉપયોગી થવા હેતુ આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : એસ.એસ.એ. જામનગરના આઈ.ઈ.ડી. યુનિટના દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષકોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઉપયોગી થવા હેતુ દ્વારકાની એક્પ્લોર વીઝીટ કરી હતી.

એસ.એસ.એ. જામનગરના આઇ.ઇ.ડી. યુનિટમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષકોએ વિદ્યાર્થીઓના શિક્ષણ સહ તાલીમમાં ઉપયોગી નવીન જાણકારી માટે દ્વારકાની એક્સપ્લોર વિઝીટ કરી હતી. સૌપ્રથમ તમામ શિક્ષકોએ ભારતના પ્રસિદ્ધ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં વિવિધ મંદિરોની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. ત્યારબાદ જગતમંદિરનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ વિશેની અલભ્ય જાણકારી મેળવેલ હતી.

ત્યારબાદ દ્વારકામાં માનસિક દિવ્યાંગોના શિક્ષણ ક્ષેત્રે કામ કરતી ‘રાધે’ ડિફ્રન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનની મુલાકાત કરી હતી અને સંસ્થાના સંચાલક રસિકભાઈ છાયા દ્વારા શાળાના માનસિક દિવ્યાંગ બાળકોની મુલાકાત કરાવી અને તેના શિક્ષણ અને વિવિધ તાલીમના વર્ગો, રહેવા-જમવાના સ્થળ, પ્રાર્થનાખંડની મુલાકાત કરાવી તેની સઘળી જાણકારી આપી હતી.

વધુમાં, ભડકેશ્વર મહાદેવ મંદિર, લાઈટ હાઉસ અને સમુદ્રતટની મુલાકાત કરી હતી. ત્યારબાદ ભારતભરમાં શૈક્ષણિક અને સેવા ક્ષેત્રે કામ કરતા સનાતન સેવા આશ્રમની મુલાકાત કરી, ત્યાં ગિરિધરભાઈ જોશી દ્વારા સમગ્ર આશ્રમની મુલાકાત કરાવી, તેની શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી.

આ સમગ્ર પ્રવાસ જામનગર જિલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડીનેટર હેમાંગિનીબેન દવેના રાહબર હેઠળ થયેલ અને તેમના દ્વારા પ્રવાસના સ્થળ અને તેના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.