બોલીવૂડ સ્ટાર સારા અલીખાન અને વિક્રાંત મૈસી એ કાળીયા ઠાકોર તથા ભડકેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું

(રિશી રૂપારેલિયા)દ્વારકા : બોલીવૂડ સ્ટાર સારા અલીખાન અને વિક્રાંત મૈસી આજે યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે જગતમંદિરમાં બોલીવૂડ સ્ટાર સારા અલીખાન અને વિક્રાંત મૈસી એ કાળીયા ઠાકોર તથા ભડકેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું.

હિન્દી ફિલ્મ ગેસલાઈટના શૂટિંગ અર્થે બોલીવૂડ સ્ટાર સારા અલી ખાન અને વિક્રાંત મૈસી સહિતના કાફલાએ મોરબી જિલ્લામાં ધામા નાખ્યા બાદ આજે તેઓએ દ્વારકાની મુલાકાત લીધી છે. ત્યારે અભિનેત્રી સારા અલી ખાન તથા અભિનેતા વિક્રાંત મૈસી એ ચાર ધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ એક્ટ્રેસ સારા અલી ખાને જગતમંદિરની વિઝીટર બુકમાં સાઈન કરી હતી.

આ ઉપરાંત, રાજાધિરાજના દર્શન કર્યા બાદ સારા અલી ખાન તથા વિક્રાંત મૈસી બંને ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ નાગેશ્વર મંદિર ખાતે દર્શન કરવા જશે તેવું જાણવા મળી રહ્યું છે.