ખંભાળિયા બન્યું રામમય: ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

શોભાયાત્રાને વ્યાપક આવકાર: તલવારબાજીના હેરતઅંગેજ કરતબો –

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આજરોજ ખંભાળિયામાં ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજવામાં આવેલી શોભાયાત્રામાં ઐતિહાસિક સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

રામનવમી નિમિત્તે શહેરમાં ધર્મમય માહોલ જોવા મળ્યો હતો. રામ નવમીની નોંધપાત્ર પૂર્વ તૈયારીઓ અને શહેરમાં સુશોભન વચ્ચે આજે અહીંના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા શ્રી રામ મંદિરને અનોખા સાજ-શણગાર સજવામાં આવ્યા હતા. અહીં દિવસ દરમિયાન પૂજન-અર્ચન, આરતી તથા દર્શનમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

ભગવાન શ્રીરામની શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ નીકળી હતી. સાંજે અહીંના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા રામ મંદિર ખાતેથી શરૂ થયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી, ઢળતી સાંજે પુનઃ રામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં આ શોભાયાત્રાનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકી તથા હનુમાનજીના પરિવેશ સાથેના ભાવિકો ઉપરાંત શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. “જય જય શ્રી રામ” ના ગગનભેદી નાદ તથા ડી.જે.ના તાલે આ શોભાયાત્રામાં ભાવિકોએ તલવારબાજીના હેરત-અંગેજ કરતબો રજૂ કરી, સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શોભાયાત્રાનું ઠંડા પીણાં, આઈસક્રીમ વિગેરે દ્વારા સ્વાગત કરાયું હતું.

આ ઐતિહાસિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા શ્રીરામ સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં શહેર પ્રમુખ જયસુખભાઈ મોદી, ભમબાપુ, વનરાજસિંહ વાઢેર, ઈન્દ્રજીતસિંહ પરમાર, મોહિત પંડ્યા, વિકી રૂઘાણી, જીગ્નેશભાઈ પરમાર, કોર્પોરેટર મહેશ રાડિયા, અમિત શુક્લ, અશોકભાઈ કાનાણી, સહિતના કાર્યકરો સાથે રહ્યા હતા.