જામનગરના ધારાસભ્યએ શ્રીદ્વારકાધીશને શ્રીમદ ભાગવત કથાની કંકોત્રી અર્પણ કરી

જામનગરમાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ અંગે આગેવાનો સાથે બેઠક યોજી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં જામનગરના ધારાસભ્યે શ્રીદ્વારકાધીશના દર્શન કરી શ્રીમદ ભાગવત કથાની કંકોત્રી અર્પણ કરી હતી. તેમજ જામનગરમાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ અંગે આગેવાનો સાથે બેઠક યોજી હતી.

દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં પૂર્વ રાજ્યમંત્રી અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ શીશ ઝુકાવ્યું હતું અને શ્રીદ્વારકાધીશને શ્રીમદ ભાગવત કથાની કંકોત્રી અર્પણ કરી હતી. તેમજ આગામી દિવસોમાં જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાવાની હોય, તે અંતર્ગત દ્વારકાની શારદાપીઠમાં શહેર અને તાલુકાના તથા મીઠાપુર, સુરજકરાડી, ઓખા, વરવાળા, દ્વારકાના સામાજિક, શૈક્ષણિક, વ્યાપારી અને રાજકીય આગેવાનો અને પત્રકારો સાથે મીટીંગ યોજી હતી. જેમાં દ્વારકાના વિવિધ સમાજના અગ્રણીઓ, પત્રકારો અને ભૂદેવો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી તા. 01.05.2022ના રોજ જામનગર ખાતે આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત કથાની શુભ શરૂઆત થનાર છે. અલગ-અલગ દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલાનું પ્રદર્શન પણ કરશે. કથાની વ્યાસપીઠ પર રમેશભાઈ ઓઝા બીરાજમાન થશે. આ તકે કથાનો લાભ લેવા ભક્તોને અપીલ કરવામાં આવી છે.