દ્વારકા જિલ્લામાં ભાડુઆતની વિગતો સ્થાનિક પોલીસને આપવાની રહેશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય અને આદીવાસી લોકો રોજગારી અર્થે જિલ્લામાં આવે છે. મોટા ભાગના ખેડુતો પોતાની ખેતીવાડીના કામ માટે પરપ્રાંતિય કે આદીવાસી લોકોને રાખે છે. જેમાં અમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો હોય એવી સંભાવના હોય છે.

ભુતકાળમાં પણ આવા પરપ્રાંતિય, આદિવાસી મજુરો ચોરી કે લુંટ જેવા ગંભીર પ્રકારના હુમલાઓ કરીને નાસી ગયા છે. જેના ટુંકા નામ સિવાય વિશેષ કોઇ માહિતી ન હોવાના કારણે આવા ગુન્હેગાર લોકોને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે.

આ બાબતને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે અને આવા લોકોના જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, ખેડુતો તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે, તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના આવા શ્રમિકોની યાદી તૈયાર કરી ચોક્કસ પત્રક-એ મુજબ સબંધિત પોલીસ સ્ટેશનને તાકીદે માહિતી પુરી પાડવા એક યાદીમાં જણાવાયું છે.