ખંભાળિયામાં વિકાસકાર્યોની હારમાળા : રૂ. અઢી કરોડના વિવિધ કામોના ખાતમૂહર્ત કરાયા

કરોડો રૂપિયાના કામો ગુણવત્તાયુક્ત થાય તેવી નગરજનોને અપેક્ષા

જામ ખંભાળિયા : રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા શહેરનો વિકાસ થાય તે હેતુથી ફાળવવામાં આવેલી વિવિધ ગ્રાન્ટ તથા વિકાસ કાર્યો માટેની તોતિંગ રકમની મંજૂરી મળતા ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારના વિકાસ કાર્યો માટે રૂ. અઢી કરોડ જેટલી રકમના હાથ ધરાનારા કામોનું ખાતમુહૂર્ત સોમવારે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.

વિકાસ ઝંખતા ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારના પ્રજાલક્ષી કાર્યો થાય તથા સુખ સુવિધામાં વધારો થાય તે હેતુથી વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી આધારે રૂ. અઢી કરોડના ખર્ચે થનાર વિકાસ કામોના ખાતમુહુર્ત ગઈકાલે સોમવારે સવારે યોજવામાં આવ્યું હતું. જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા 15 માં નાણાપંચની યોજનામાંથી જામનગર તરફથી શહેરમાં પ્રવેશવાના માર્ગ પર આઈ.ટી.આઈ. પાસે રૂપિયા 35 લાખના ખર્ચે વેલકમ ગેટનું ખાતમુહુર્ત શહેર ભા.જ.પ. પ્રમુખ અનિલભાઈ તન્નાના હસ્તે, સુખનાથ મંદિર પાસે રૂપિયા 40 લાખના ખર્ચે પુલ બનાવવાના કામનુ ખાતમુહુર્ત પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર તથા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યના હસ્તે, રૂપિયા 72 લાખના ખર્ચે પુર સંરક્ષણ દીવાલના કામનું ખાતમુહુર્ત ઈમ્તિયાઝખાન લોદીન તથા કાળુભાઈ માવદિયાના હસ્તે, રોડ તથા લાઈટીંગના કામનું ખાતમુહુર્ત હરેશભાઈ ભટ્ટ તથા મોહિતભાઈ મોટાણીના હસ્તે, તેમજ રૂપિયા 30 લાખના ખર્ચે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, વાલ્મીકી વાસ પાસે ગટરના કામનું ખાતમુહુર્ત દિપેશભાઈ ગોકાણી તથા કિશોરભાઈ નકુમ દ્વારા, રોડ તથા વાલ્મીકી વાસ પાસે ગટરનું કામના ખાતમુહૂર્ત ભીખુભા જેઠવા તથા મુકેશભાઈ કાનાણી દ્વારા તેમજ સલાયા ગેટ પાસે સી.સી. રોડના કામનું ખાતમુહુર્ત કોર્પોરેટર અજુભાઈ ગાગિયા તથા ભવ્ય ગોકાણી દ્વારા, ઉપરાંત સ્નાનાગૃહ તેમજ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાના કામનું ખાતમુહુર્ત રેખાબેન ખેતીયા તથા પીયુશભાઈ કણઝારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રૂ. 80 લાખના ખર્ચે સુમરા તરઘડી ખાતે આવેલ વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ, ફરતે કમ્પાઊંડ વોલ બનાવવા સહિતના જુદા જુદા વિસ્તારોમાં સી.સી.રોડ, ગટર, પે એન્ડ યુઝ ટોયલેટ, સ્નાનગૃહ જેવા અંદાજે અઢી કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું. દરેક કામનું ખાતમુહુર્ત શ્રીફળ વધેરીને તેમજ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ હતું.

જુદા જુદા કામોના આ ખાતમુહુર્ત પ્રસંગે ખંભાલીયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાઘજીભાઈ પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી પીયુશભાઈ કણઝારીયા, નગરપાલિકા સદસ્યો ઈમ્તિયાઝખાન લોદીન, હરેશભાઈ ભટ્ટ, દિપેશભાઈ ગોકાણી,અજુભાઈ ગાગિયા, રેખાબેન ખેતીયા તેમજ સાથે જીગ્નેશભાઈ પરમાર, હિતેન્દ્રભાઈ આચાર્ય, ભરતભાઈ ચાવડા, ભીખુભા જેઠવા, કાળુભાઈ માવદીયા, કિશોરભાઈ નકુમ, મોહિત મોટાણી, ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઈ કણઝારીયા, વનરાજસિંહ વાઢેર, મુકેશભાઈ કાનાણી, રાણાભાઈ ગઢવી, સંદીપભાઈ ખેતીયા સાથે સ્થાનિક આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. આ માટે નગરપાલિકાના એન્જીનીયર એન.આર. નંદાણીયા સાથે કોન્ટ્રાકટરો, વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત દરેક કામના કોન્ટ્રકટરોને ગુણવત્તાયુક્ત અને ઝડપી કામ કરવા સુચના આપવામાં આવી હતી.