ખંભાળિયા પંથકમાં પ્રિમોન્સુન કામગીરી સંદર્ભે ત્રણ દિવસ દરમિયાન વીજકાપ

જામ ખંભાળિયા : આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં સમારકામની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખંભાળિયાના પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી સમયાંતરે પ્રી-મોન્સુન કામગીરી હાથ ધરાનાર છે. જેમાં આજરોજ શુક્રવારથી રવિવાર સુધી વીજકાપ મુકવામાં આવશે.

ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર વાડી વિસ્તાર, નવચેતન સ્કુલ વિસ્તાર તથા ડેરામોરા વાડી વિસ્તારમાં આજરોજ શુક્રવારે બપોરે 1:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર છે.

આવતીકાલે શનિવારે 11કે.વી. સિટી- 1 અર્બન હેઠળ આવતા મિલન ચાર રસ્તા વિસ્તાર, પોરબંદર રોડ, દ્વારકા ગેઈટ, તેમજ રામનાથ સોસાયટી વિસ્તારમાં સવારે સાડા સાતથી બપોરે સાડા બાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

આ જ રીતે રવિવાર તારીખ 8 મી ના રોજ સવારે સાડા સાતથી બપોરે સાડા બાર વાગ્યા સુધી અહિના નગર ગેઈટ અર્બન ફીડર હેઠળના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, કોર્ટ ઓફિસ, હરસિદ્ધિ નગર, મિલન ચાર રસ્તા, રાજડા રોડ, બંગલાવાડી, પોર ગેઈટ, ગુંદી ચોક વિગેરે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.