પાકની નાપાક હરકત : ઓખાની ‘અલ કિરમાણી’ બોટ પર ફાયરીંગ કરી બોટમાલિકના પુત્ર સહિત 8 માછીમારોનું અપહરણ

દરિયામાં IMBL નજીક ફાયરીંગની ઘટનાથી અન્ય માછીમારોમાં ભયનો માહોલ

દ્વારકા : IMBL (ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન) નજીક માછીમારી કરી રહેલી ઓખા બંદરની એક બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરીંગ કરી આઠ માછીમારોનું અપહરણ કરાતા ચકચાર મચી છે. પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણ માટે ફાયરીંગ કરાતા અન્ય માછીમારોમાં ભયનો માહોલ છવાયો છે. આઠેય માછીમારોનું અપહરણ કરી બોટ સાથે પાકિસ્તાન લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છના જખૌ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમા આઈએમબીએલ પાસેથી ગઈકાલે પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીએ બેટ દ્વારકાની જીજે-37-એમએમ-1752 નંબરની અલ કીરમાણી નામની માછીમારી બોટ પર હલ્લો કર્યો હતો. આ બોટમાં માછીમારી કરી રહેલા 8 વ્યક્તિઓ પર પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીની કોલચી નામની બોટમાંથી અચાનક જ ફાયરીંગ શરૂ કરાયું હતું. આ માછીમારો હેબતાયા હતા. તે દરમ્યાન અલ કિરમાણી પાસે પહોંચી ગયેલા નાપાક એજન્સીના સદસ્યોએ તમામ 8 માછીમારોને ઝબ્બે લઈ તમામના અપહરણ કરી લીધા છે. બનાવની મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષા એજન્સીઓને અહેવાલ મળે તે પહેલા તમામ અપહૃતોને પાકિસ્તાન હંકારી જવામાં આવ્યા છે. અને બેટ દ્વારકાની ઉપરોકત બોટમાં કયા કયા માછીમારો હતા? તેની વિગતો મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે.

બોટ માલિક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બોટનું નામ અલ કિરમાણી છે. જેમાં મારો પુત્ર જાવીદ ગની ટંડેલ અને સાત માછીમારો છે. જેમાં ખલીબ, અબ્બાસ, એહમદ તથા ચાર માછીમારો બોટમાં સવાર હતા અને ભારતીય જળસીમામાં માછીમારી કરતા હતા. બોટ માલિકે ઉમેર્યું હતું કે, આપણા વિસ્તારમાંથી બોટ લઈ ગયા છે. એટલે કે બોટ ઈન્ડિયાની બોર્ડરમાંથી લઈ ગયા છે. આખી ઘટનાની તો બીજી બોટો ફિશિંગમાંથી આવે ત્યારબાદ ખબર પડે. અમે સવારથી જ બોટનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે પણ બોટનો કોન્ટેક થતો નથી.