ખંભાળિયામાં ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન: 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા

ભરવાડ સમાજની હોસ્ટેલ માટે 92 લાખનો ફાળો એકત્ર થયો

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાનાના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સાતમા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ સમૂહલગ્નમાં ઉપસ્થિત તોરણીયા ધામના મહંત રાજેન્દ્રદાસ બાપુ તથા દ્વારકા સ્થિત કાનદાસ બાપુ આશ્રમના મહંત મુન્નાબાપુ સહિતના સંતો-મહંતો તથા અહીંના સાંસદ પૂનમબેન માડમ, પુર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ખાસ બાબત એ બની કે ભરવાડ સમાજના દાનવીર અને ભામાશાની છાપ ધરાવતા હાલ સુરતના રહીશ ગોરધનભાઈ હીરાભાઈ ભરવાડ (સરસીયા) દ્વારા આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ખંભાળિયામાં સમસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજની બોયઝ હોસ્ટેલના નવનિર્માણ બાબતની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજેન્દ્રદાસ બાપુના હસ્તે ગોરધનભાઈ ભરવાડ દ્વારા બોયસ હોસ્ટેલના નવનિર્માણ માટે રૂ. 51.51 લાખની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેમના તરફથી રૂ. 11.05 લાખ અને સાંસદની ગ્રાન્ટમાંથી રૂ. પાંચ લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા રૂ. પાંચ- પાંચ લાખ, લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલ દ્વારા રૂ. સાડા ત્રણ લાખ, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ વતી મયુરભાઈ ગઢવી દ્વારા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી હતી. આમ, ખંભાળિયા ભરવાડ સમાજની આ શિક્ષણ જ્યોતમાં કુલ રૂ. 91.51 લાખની રોકડ રકમ તથા ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનમાં ખંભાળિયા ભરવાડ સમાજના અગ્રણી રમેશભાઈ ટોયટા તથા રાજુભાઈ સરસીયા અને એમની સહયોગી ટીમના શીવાભાઈ મુંધવા, દેવસીભાઈ ઝાપડા, ચોથાભાઈ લાંબરીયા, લખનભાઈ લાંબરીયા, બાબુભાઈ કરીર, પ્રવીણભાઈ લાંબરીયા અને ગોગનભાઈ બાંભવા અને સમસ્ત જામ ખંભાળિયા તાલુકા ભરવાડ સમાજના યુવાનો અને વડીલો દ્વારા આ સમગ્ર કાર્યક્રમના આયોજન અંગેની જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ભરવાડ સમાજના ગાયક કલાકાર રીન્કુબેન ભરવાડ, અનિલભાઈ ભરવાડ દ્વારા લગ્ન ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જામનગરની વિશ્વવિખ્યાત રાજશક્તિ રાસ મંડળી આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ કાર્યક્રમમાં આશરે 25 હજાર જેટલા જ્ઞાતિજનો, આગેવાનો, હોદ્દેદારો જોડાયા હતા. આયોજનપૂર્વકનો આ સમગ્ર કાર્યક્રમ સફળબની રહ્યો હતો. આ વ્યવસ્થામાં જોડાયેલા તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમુહ લગ્નોત્સવ પ્રસંગે કોંગી આગેવાન એભાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, સંજયભાઈ નકુમ, હિતેશભાઈ પિંડારિયા તથા યાર્ડના ડાયરેક્ટર પ્રભાતભાઈ ચાવડા તથા લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઈ લાલ, અનિલભાઈ તન્ના, ભરતભાઈ મોટાણી, વીનુકાકા સોમૈયા તથા જિલ્લા ભાજપ મંત્રી પરબતભાઈ ભાદરકા, વનરાજસિંહ વાઢેર, ભરવાડ સમાજ અગ્રણી રમેશભાઈ ગમારા, વિરમભાઈ વકાતર, મચ્છાભાઈ ઠુંગા લીંબાભાઇ ગમારા, સુરેશભાઈ બાંભવા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના અલગ અલગ રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન સુપેરે સંપન્ન થયું હતું.