દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આજથી ‘આપ’એ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત ઇશુદાન ગઢવી આજે દ્વારકા આવી પહોંચ્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં આજે ‘આપ’ની ગુજરાત પરિવર્તન યાત્રાની શરૂઆત થઈ હતી. જે અન્વયે આપ નેતા ઇશુદાન ગઢવી દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમણે દ્વારકા પહોંચી શ્રીદ્વારકાધીશના દર્શન કર્યા હતા. દર્શન કરી શ્રીદ્વારકાધીશના આશીર્વાદ મેળવી તેઓએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી.
તેઓએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપ પાર્ટી તમામ 182 બેઠકો પર મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારશે. સાથે તેઓ પણ ચૂંટણી લડશે તેવા સંકેત આપ્યા હતા. દ્વારકા જિલ્લા તેઓની જન્મભૂમિ હોઈ, પોતે ચૂંટણી ક્યાંથી લડશે તે સવાલના જવાબ આપવાનું હાલ ટાળ્યું હતું અને આગામી સમયમાં આ બાબત નક્કી થશે તેવું જણાવ્યું હતું.
તેઓએ દ્વારકા જિલ્લામાં દ્વારકાથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી અને દ્વારકાથી ભીમરાણા અને ભોગાત લાંબા કલ્યાણપુરમાં આજે પરિવર્તન યાત્રામાં ઇસુદાન ગઢવી સાથે આપના નેતાઓ ગામડાઓની મુલાકાત લઈ સ્થાનિક સમસ્યાઓ વિશે લોકો સાથે ચર્ચા કરશે.